મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે માણાવદર શહેર અને તાલુકાભરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માણાવદરના પ્રખ્યાત શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. અહીં ભક્તોએ જળાભિષેક, દુગ્ધાભિષેક અને રુદ્રાભિષેક કરી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.