અમદાવાદથી નાગપુર જતી પ્રેરણા એક્સપ્રેસ (ટ્રેન નં. 22138)માં ગુરુવારે મોડી રાત્રે આગની ઘટના બનતા મુસાફરોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. ટ્રેન બારડોલીના ટિમ્બરવા સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બીજા જનરલ કોચમાં અચાનક બ્રેક જામ થતાં ચિંગારીઓ ઉડી અને આગ ભભૂકી ઊઠી હતી. સ્ટેશન માસ્ટરની સતર્ક નજર પડતા જ રાત્રે 11:35 કલાકે ટ્રેનને તાત્કાલિક અટકાવવામાં આવી. ત્યારબાદ રેલવે સ્ટાફ અને આગ બુઝાવ દળે તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો.