વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે તાજેતરમા વલસાડ જિલ્લામાં આવેલા પુરની સ્થિતિમાં લોકોના જાન માલને બચાવનાર અને ગુના નિવારણ અંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર ૧૦ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માનિત પોલીસ જવાનોમાં (૧) નાનાપોંઢા પીઆઈ એમ.એન.કાતરીયાએ તા. ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પુરમાં કોપરલી અંભેટી રોડ ઉપર ફસાયેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં ૩૯ લોકોના જીવ બચાવ્યા હતા. (૨) ડુંગરા પોલીસ મથકના પી.આઈ. બી.એન.ગોહિલે તા. ૨૩ જુલાઈના રોજ કોલક ખાડીમાં પુરની સ્થિતિમાં આલોક કંપનીમાં કામ કરતો મકસુદન યાદવ ખાડી કિનારે આવેલા પાણીના સંપ ઉપર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયેલો હતો જેને બચાવવા માટે પીઆઈ ગોહિલે પાણી વચ્ચે આવેલા વીજ પોલ પર ચઢી છેલ્લા ૧૪ કલાકથી પૂરમાં ફસાયેલા મકસુદનને બચાવી કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર મારફત એરલીફ્ટ કરી રેસ્ક્યુ કર્યુ હતું. (૩) અ.પો.કો. રાકેશ ભગુભાઈ, નાનાપોંઢા પોલીસ સ્ટેશન એ કોપરલી અંભેટી રોડ પર ખાનગી બસમાં ફસાયેલા ૩૯ લોકોને બચાવવા ૩ રસ્સા લઈ બસ સુધી પહોંચી રસ્સા બાંધી ૩૯ લોકોને ૨૦ થી ૨૫ ફૂટ ઉંડા પાણીમાંથી ૧૫૦ મીટર લાંબુ રેસ્કયુ કર્યુ હતું. (૪) વલસાડ પેરોલ ફર્લો સ્કવોડના પો.કો. પંકજ રૂપાભાઈ દેગામા એ છેતરપિંડી, લૂંટ અને ગેરકાયદેસર હથિયારના ગંભીર ગુનામાં બે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા હતા. (૫) સરીગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મયુરભાઈ લક્ષ્મણભાઈ અને (૬) પો.કો. ભારતસિંહ જાદવભાઈએ તા. ૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સરીગામથી ૯ વર્ષીય બાળક ગુમ થયો હતો જેને ગણતરીના કલાકમાં શોધી પરિવારને સુપરત કર્યો હતો. (૭) ભીલાડ પોલીસ સ્ટેશનના હે.કો.કાશીરામ મગનભાઈ અને (૮) પો.કો.હિરાભાઈ લક્ષુભાઈએ અતિભારે વરસાદને કારણે ભીલાડ ધોડીપાડા ને.હા.નં. ૪૮ ઉપર પાણી ફરી વળતા ટેન્કર તણાઈ ગયુ હતું. જેના ચાલક નાગરાજ યુવરાજ ચૌહાણ જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો હતો. ૨૦ કલાક સુધી ઝાડ પર રહ્યો હતો આ દરમિયાન કાશીરામ અને હિરાભાઈએ તેનો અવાજ સાંભળતા તેને રેસ્કયુ કર્યો હતો. (૯) ઉમરગામ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાકેશ મહાદેવ માંગેલા અને (૧૦) લોકરક્ષક દળ દિલીપકુમાર લખમણભાઈ પરમારે તા. ૨૨ જુલાઈના રોજ ઉમરગામમાં અતિભારે વરસાદને કારણે કરમબેલી-કાચપાડા ગામમાં એક વાડીમાં પશુધન તણાઈ જાય તેવી હાલતમાં પશુઓનું રેસ્કયુ કરી બહાર આવતા હતા ત્યારે પાણીમાં ફસાઈ જતા ૨૪ કલાક બાદ પાણી ઓસર્યા બાદ બહાર આવ્યા હતા.
Follow @aapnu_vapi for More
Vapi, Valsad | Aug 18, 2026