ભીલાડ રેલવે અંડરપાસનું કામ પૂર્ણ, 30મી જૂને પ્રજા માટે ખુલ્લો મુકાશે
વલસાડ-ડાંગ સંસદીય ક્ષેત્રના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલના સતત પ્રયાસોથી ભીલાડ વિસ્તારનો વર્ષો જૂનો ટ્રાફિકનો પ્રશ્ન આખરે ઉકેલાયો છે. ભીલાડ ખાતે છેલ્લા લાંબા સમયથી અધૂરું રહેલું રેલવે અંડરપાસનું કામ હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આ અંડરપાસ ટેકનિકલ કારણોસર અટકેલો હતો, જેની ગંભીરતા સમજીને સાંસદ ધવલભાઈ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી ધારદાર રજૂઆતો કરી હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત ફોલોઅપ લીધા બાદ આ કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી છે.
આગામી 30મી જૂનના રોજ સવારે 11 કલાકે આ નવનિર્મિત અંડરપાસને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંડરપાસ શરૂ થતાં જ ભીલાડ અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારના હજારો વાહનચાલકોને રોજબરોજની ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jun 26, 2026