વડનગર તાલુકાના સુલતાનપુરા ગામના નવાગામ ચૌધરી વાસ ખાતે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિ વચ્ચે આજે ચૌધરી સમાજની બહેનોએ પરંપરાગત રીતે "ઢુંઢિયા બાવજી" કાઢી મેઘરાજાને મનાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની અનિયમિતતા અને ખેતીની ચિંતાને પગલે ગામની મહિલાઓએ પરંપરાગત લોકઆસ્થાનું પાલન કરતા ઢુંઢિયા બાવજીની વિધિ યોજી હતી. ચૌધરી સમાજની બહેનોએ ગામમાં ભજન-કીર્તન અને ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે ઢુંઢિયા બાવજીની શોભાયાત્રા કાઢી હતી.
આ પ્રસંગે બહેનોએ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે સમયસર અને સારો વરસાદ વરસે જેથી ખેડૂતોને રાહત મળે અને ખેતી કાર્ય સરળ બને. ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મોડો પડતો હોય ત્યારે લોકપરંપરા અને આસ્થાના ભાગરૂપે ઢુંઢિયા બાવજી કાઢવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે. �