આંબાના મોરનો સમયગાળો અત્યંત સંવેદનશીલ હોય છે. આ દરમિયાન વધુ ભેજ તથા વરસાદ થવાથી ફળબંધાણમાં ઘટાડો થવાની સાથે ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદથી મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ ઊભી થવી તેમજ પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ઝડપથી ફેલાવાની સંભાવના વધી જાય છે, જેના કારણે કેરી બેસાણ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.